જીવન અંજલિ થાજો ! – કરસનદાસ માણેક


              જીવન અંજલિ થાજો !
           મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;
દીનદુ:ખિયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો!
           મારું જીવન અંજલિ થાજો !
                                                           
સતની  કાંટાળી  કેડી  પર  પુષ્પ બની પથરાજો;
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો!
           મારું જીવન અંજલિ થાજો ! 
                                                        
વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના  પ્રત્યેક   સ્પન્દને   તારું  નામ  રટાજો !
            મારું જીવન અંજલિ થાજો !
                                                          
વમળોની વચ્ચે નૈયા મુજ  હાલકલોલક થાજો;
શ્રધ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો!
           મારું જીવન અંજલિ થાજો !
                                                        
કરસનદાસ માણેક